રૂપાલાએ બદલી જીતની રણનીતિ! ક્ષત્રિય આંદોલનથી લીડમાં ઘટાડો છતાં ભાજપનું પલડું ભારે કેમ?

Loksabha Election 2024 ભાજપનાં ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર ટીપ્પણી કરતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. ક્ષત્રિય આંદોલનને કારણે આ બેઠક ટોક ઓફ ધ સ્ટેટ બની છે. એટલું જ નહિં પરશોત્તમ રૂપાલાની લીડમાં ઘટાડો થવાની શક્યતાને કારણે તેને પોતાની રણનીતિ બદલી છે. જોકે ક્ષત્રિય આંદોલનને કારણે સુષ્ક હાલતમાં રહેલી કોંગ્રેસમાં પણ નવા પ્રાણ ફુંકાયા છે.

રૂપાલાએ બદલી જીતની રણનીતિ! ક્ષત્રિય આંદોલનથી લીડમાં ઘટાડો છતાં ભાજપનું પલડું ભારે કેમ?

Loksabha Election 2024: રાજકોટ લોકસભા બેઠક. આમ તો આ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. ભાજપનાં ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર ટીપ્પણી કરતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. ક્ષત્રિય આંદોલનને કારણે આ બેઠક ટોક ઓફ ધ સ્ટેટ બની છે. એટલું જ નહિં પરશોત્તમ રૂપાલાની લીડમાં ઘટાડો થવાની શક્યતાને કારણે તેને પોતાની રણનીતિ બદલી છે. જોકે ક્ષત્રિય આંદોલનને કારણે સુષ્ક હાલતમાં રહેલી કોંગ્રેસમાં પણ નવા પ્રાણ ફુંકાયા છે.

રાજકોટ લોકસભા બેઠક ભાજપ માટે સૌરાષ્ટ્રની સૌથી સેફ બેઠક ગણવામાં આવે છે. પરસોત્તમ રૂપાલાએ કરેલા બફાટ બાદ આ બેઠક સૌથી હોટ થઇ ગઇ છે. ક્ષત્રિય સમાજ પર કરેલી ટીપ્પણીનો મુદ્દો આજે જબરદસ્ત ભાજપને નડી રહ્યો છે. બે-ત્રણ વાર રૂપાલા દ્વારા માફી માંગવામાં આવી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પણ ક્ષત્રિય સમાજ સામે હાથ જોડ્યા પરંતુ ક્ષત્રિયો પોતાની માગ પર અડગ છે. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની ચિમકી ઉચારતા જ સરકાર પણ હરકતમાં આવી ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે. ક્ષત્રિય આંદોલન થી પરસોત્તમ રૂપાલાની 5 લાખની લીડમાં ઘટાડો છતાં ભાજપનું પલડું ભારે છે. એટલા માટે જ પરસોત્તમ રૂપાલાએ જીતની રણનીતિ બદલી છે અને ક્ષત્રિય સામાજને બદલે અન્ય નાના-નાના સમાજનાં મત્તદારોનો સાથ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

પરસોત્તમ રૂપાલા સતત જૈન સમાજ, કડીયા સમાજ, દરજી સમાજ, બ્રાહ્મણ સમાજ, બ્રહ્મ ક્ષત્રિય સમાજ, મોચી સમાજ, દેવીપુજક સમાજ સહિતનાં સમાજોને પોતાની સાથે જોડવા માટે સંમેલનો અને જમણવારો કરી રહ્યા છે. ભાજપનાં પ્રવક્તા રાજૂ ધ્રુવે જણાવ્યું હતું કે, પરસોત્તમ રૂપાલાનાં ગ્રામ્ય વિસ્તારમાં પ્રચારનાં બે રાઉન્ડ પૂર્ણ થઇ ગયા છે. વિધાનસભા પ્રમાણે કાર્યાલયો ખોલી દેવામાં આવ્યા છે અને શહેરી વિસ્તારોમાં સભાઓ અને લોકસંપર્ક સાધવામાં આવી રહ્યા છે. દરેક સમાજને સાથે રાખીને ભાજપ ચાલી રહ્યું છે. 

રાજકોટ લોકસભાનું જ્ઞાતિ ગણિત

  • - લેઉવા પાટીદાર - 3,50,867
  • - કડવા પાટીદાર - 1,91,535
  • - કોળી સમાજ - 3,11,503
  • - ક્ષત્રિય રાજપુત - 1,45,970
  • - મુસ્લિમ સમાજ - 1,89,653
  • - એસ.સી - 1,55,008
  • - બ્રાહ્મણ સમાજ - 86,991
  • - ભરવાડ અને રબારી - 82,743
  • - પ્રજાપતિ સમાજ - 58,825
  • - આહિર સમાજ - 58,501
  • - રધુવંશી સામાજ(લોહાણા) - 66,137
  • - અન્ય - 3,98,433

હવે સૌરાષ્ટ્રથી મુંબઈ જવા નહીં ખાવો પડે અમદાવાદનો ધક્કો! રાજકોટને સૌથી વધુ લાભ

તો બીજી તરફ કોંગ્રેસ ગ્રામ્ય વિસ્તારને મજબુત કરવાનાં પ્રયાસો કરી રહી છે. પરેશ ધાનાણી રાજકોટ શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તાર પર ફોકસ કરી રહ્યા છે. કોંગ્રેસનું માનવું છે કે, ક્ષત્રિય આંદોલનની અસર સૌથી વધું ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહી છે. એટલું જ નહિં ખેડુતોનાં, શિક્ષણનાં અને સુવિધાઓનો અભાવ ગ્રામ્ય વિસ્તારમાં છે તેનો તેમને ફાયદો થશે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર ચાલી રહ્યો છે. જ્યારે શહેરી વિસ્તારોમાં બુથ પ્રમાણે સભાઓ અને રેલીઓ પણ કરવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્યો સાથે સંકલન કરી સભાઓ અને રેલીઓ કરવામાં આવી રહી છે. જેમાં અઢારેય વરણને સાથે રાખવાનો દાવો કર્યો હતો. 

જ્ઞાતિગત રાજકારણ શરૂ ?
રાજકોટ લોકસભા બેઠક પર સિધી રીતે જોઇએ તો, કડવા સામે લેઉવાનો જંગ જોવા મળી રહ્યો છે. ભાજપે કડવા પાટીદાર પરસોત્તમ રૂપાલાને જ્યારે કોંગ્રેસે લેઉવા પાટીદાર પરેશ ધાનાણીને ચુંટણી જંગમાં ઉતાર્યા છે. રાજકોટ લોકસભા બેઠક પર લેઉવા પાટીદાર મતદારો 3.50 લાખ છે. જ્યારે કડવા પાટીદાર 1.91 લાખ મતદારો છે. આ બેઠક પર પાટીદાર મતદારો નિર્ણાયક રહેતા હોય છે. 

જોકે વર્ષ 2009માં આ બેઠક પર ભાજપે કડવા પાટીદાર કિરણ પટેલને ચુંટણી જંગમાં ઉતાર્યા હતા. ત્યારે ભાજપનો આંતરીક જૂથવાદ જોવા મળ્યો હતો અને ખોડલધામ ટ્રસ્ટ ચેરમેન નરેશ પટેલે કોંગ્રેસ ઉમેદવાર કુંવરજી બાવળીયાને ખુલ્લું સમર્થન જાહેર કરતા પરીણામ કોંગ્રેસ તરફી રહ્યું હતું. જોકે ત્યાર થી ભાજપ કડવા પાટીદારને જ આ સીટ પર થી ટીકીટ આપે છે. તેના કારણે જ કોંગ્રેંસ વર્ષ 2009નું પુનરાવર્તન થાય તેવી રણનિતી બનાવી રહ્યું છે. ક્ષત્રિય આંદોલન થી પણ કોંગ્રેસમાં પ્રાણ ફુંકાયા છે અને ક્ષત્રિય સમાજ જો કોંગ્રેસ તરફી મતદાન કરે તો રસાકસી જોવા મળી શકે છે.

રાજકીય વિશ્લેષક જગદિશ મહેતાના કહેવા પ્રમાણે, રાજકારણમાં બાહ્ય દેખાવ કરતા અંદર કાંઇક અલગ જ હોય છે. ભીતરમાં કોઇ પણ ભોગે નુકસાન ન થાય તે માટે તમામ સમાજોને જોડવાનો પ્રયાસ થતો હોય છે. જે રૂપાલા કરી રહ્યા છે. પરસોત્તમ રૂપાલા અત્યારે અલગ અલગ નાના સમાજો જેવા કે, જૈન, બ્રાહ્મણો, કડીયા, સુથાર જેવા સમાજોનાં જમણવારો અને સંમેલનો કરી રહ્યા છે. ક્ષત્રિય સમાજ ભાજપનો બોયકોટ કરે છે. તો પણ લઘુમતી, દલિત સમાજ અને લેઉવા પાટીદારના 50 ટકા મત અને કડવા પાટીદારના મત કોંગ્રેસને મળે તો પણ કોંગ્રેસની જીત અધરી છે. રાજકોટમાં નાના-નાના સમાજના 5 લાખથી વધારે અને કોળી સમાજના પાટીદારો જેટલા મત છે જેના કારણે ભાજપને ફાયદો થશે. જરૂરથી 5 લાખનો ભાજપનો જે ટાર્ગેટ છે તે કદાચ હવે પુરો નહિ થાય.

રાજકોટ લોકસભા બેઠક પર અનેક વિવાદો અને આંતરિક જુથબંધીને કારણે ભાજપની કસરત વધી ગઇ છે. આમ તો ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે જેથી કાર્યકર્તાઓને શિસ્તમાં અને શાનમાં સમજાવી પણ શકે છે અને ડેમેજ કન્ટ્રોલમાં માહિર હોવાને કારણે ચૂંટણીલક્ષી રણનિતી બનાવી પણ શકે છે. 5 લાખની લીડ સાથે જીતના દાવા કરતા ભાજપ માટે રાજકોટ બેઠક હવે અસ્મિતાનો સવાલ બની છે. એટલા માટે જ ભાજપે પ્રચારની રણનિતી બદલી છે. ભાજપ ક્ષત્રિય સમાજમાં પણ ડેમેજ કન્ટ્રોલના પ્રયત્ન કરી રહ્યું છે. જોકે અંતિમ નિર્ણય તો મતદારોના હાથમાં જ હોય છે. ક્ષત્રિય આંદોલન અને વિરોધ વચ્ચે મતદારોનો મિજાજ શું છે તે તો પરિણામના દિવસે જ જાણી શકાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news