દિલ્હીની ગાદી સાથે જોડાયેલી છે ગુજરાતની આ બેઠક, હવે ઈતિહાસ યથાવત રહેશે કે નવો લખાશે

Loksabha Election 2024 : લોકસભાની ચૂંટણીમાં હંમેશા વલસાડ બેઠક નિર્ણાયક અને લકી માનવામાં આવે છે, પરંતું વલસાડ બેઠકની ઈતિહાસ, મતદારો, મતદારોનો મિજાજ કેવો છે તેના પર નજર કરીએ 
 

દિલ્હીની ગાદી સાથે જોડાયેલી છે ગુજરાતની આ બેઠક, હવે ઈતિહાસ યથાવત રહેશે કે નવો લખાશે

Valsad Loksabha Seat ઉમેશ પટેલ/વલસાડ : લોકસભાની ચૂંટણીને હવે માંડ એક અઠવાડિયુ બાકી છે. હાલ તમામ રાજકીય પાર્ટીઓ પોતાની તૈયારીઓમાં લાગી ગઈ છે. ત્યારે આજે આપણે વાત કરી રહ્યા છે 26 લોકસભા બેઠક એટલે કે વલસાડ - ડાંગ બેઠકની, જેનો ઇતિહાસ દિલ્હીની ગાદી સાથે સંકળાયેલ છે. એવું કહેવાય છે કે, વલસાડ લોકસભા બેઠક જે જીતે છે તે દેશ પર રાજ કરે છે. ત્યારે આં બેઠક પર આં ચૂંટણીમાં ઇતિહાસ બદલાશે કે ઇતિહાસ યથાવત રહેશે એ જોવું રહ્યું. ત્યારે વલસાડ લોકસભા બેઠકની કેટલીક રસપ્રદ વાતો અને જાતીય સમીકરણ વિશે જાણીએ.

લોકસભાની સામાન્ય ચૂંટણીને જીતવા BJP અને કોંગ્રેસના કાર્યકારોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકસભાની સામાન્ય ચૂંટણીની તારીખ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવતા વલસાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ અને BJP દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરતા વલસાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો અને ઉમેદવારના સમર્થકોમાં વલસાડ લોકસભા બેઠક જીતવા અનોખો થનગનાટ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર, સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીને અડીને આવેલો જિલ્લો એટલે વલસાડ જિલ્લો આ વલસાડ લોકસભા બેઠકના નિર્ણય ઉપર દેશના રાજકારણ સાથે સીધી અસર જોવા મળે છે. 

  • લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મહત્વની ગણાતી વલસાડ લોકસભા બેઠક જે પક્ષનો ઉમેદવાર જીતે છે પક્ષની સરકાર દિલ્હીમાં સરકાર બનાવે છે
  • વલસાડ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં 18.48 લાખ મતદારો પૈકી 9.60 લાખથી વધુ મતદારો ઢોડીયા, કુકણા અને વારલી સમાજના મતદારો પ્રભુત્વ
  • વલસાડ લોકસભા બેઠક ઉપર 7 વિધાનસભા ક્ષેત્ર આવ્યા છે. જેમાં વલસાડ જિલ્લાના 5, નવસારીનું વાંસદા અને ડાંગ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે

લોકસભાની 26 વલસાડ બેઠક દેશના રાજકારણ માટે મહત્વની કેમ સાબિત થઈ, કારણ કે વલસાડની લોકસભા બેઠક જે પાર્ટીનો ઉમેદવાર જીતે તે જ પાર્ટીની કેન્દ્રમાં સરકાર બને છે. વલસાડ લોકસભા બેઠકનો આ ઈતિહાસ રહ્યો છે. વલસાડ લોકસભા બેઠક ST રિઝર્વ સીટ ઉપર ક્યાં સમાજનું વધુ પ્રભુત્વ છે. કયો સમાજના મતદારો જે પક્ષ તરફી મતદાન કરે તો ચૂંટણીનાં પરિણામો બદલવા સક્ષમ છે. હાલ આ બેઠક જીતવા અને મતદારોને મનાવવા કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો એડીથી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ચૂંટણીના પ્રચાર દરમિયાન પાર્ટીનાં નેતાઓ ક્યાં સમાજને રીઝવવા સૌથી વધુ પ્રયાસ કરે છે.  

વલસાડ લોકસભા બેઠક બહુલ આદિવાસી વિસ્તાર ગણાતો અને એક તરફ વિશાળ સાહિયાદ્રી પર્વતમાળાઓથી ઘેરાયેલો છે અને બીજી તરફ 70 કિલોમીટરનો વિશાળ સમુદ્ર દરિયા કિનારો છે. વલસાડ લોકસભાની બેઠક એક અનોખી ઓળખાણ ધરાવે છે. તો બીજી મહારાષ્ટ્ર રાજ્યથી ગુજરાતના પ્રવેશ દ્વાર વલસાડ જિલ્લો ઓળખાય છે. વલસાડ લોકસભા બેઠક સૌથી લોકપ્રિય અને રસપ્રદ બેઠક કેમ ગણવામાં આવે છે. કેમ અહીં લોકસભાની મતગણતરીના દિવસે વલસાડ લોકસભા બેઠકની મતગણતરી ઉપર દેશની તમામ પાર્ટીઓની મીટ મંડાયેલી રહે છે તે જાણવા જેવું છે. 

વલસાડ લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વલસાડ જિલ્લાની 5 અને નવસારીની વાંસદા અને ડાંગ જિલ્લાની ડાંગ વિધાનસભા બેઠકનો સમાવેશ કરવામાં આવે છે. વલસાડ લોકસભાની બેઠકમાં કુલ 18,48,211 મતદારો નોંધાયા છે. જે પૈકી 9,08,810 સ્ત્રી મતદારો અને 9,39,379 પૃરુષ મતદારો છે. જયારે 20 મતદારો અન્ય તરીકે લોકસભાની 2024ની સામાન્ય ચૂંટણીની મતદાર યાદીમાં નોંધાયા છે. આ લોકસભા બેઠક ઉપર સૌથી વધુ મતદારો વાંસદા વિધાનસભા બેઠક ઉપર 3,01,347 મતદારો નોંધાયા છે. ત્યાર બાદ વલસાડ જિલ્લાની ઉમરગામ વિધાનસભા બેઠક 2,90,282 મતદારો આવ્યા છે. વલસાડ લોકસભા બેઠક ઉપર નોંધાયેલા 18.48 લાખ મતદારો પૈકી 9.60 લાખથી વધુ મતદારો ઢોડીયા, કુકણા અને વારલી સમાજના મતદારો પ્રભુત્વ ધરાવે છે. જે પૈકી વાંસદા વિધાનસભા બેઠક ઉપર 2.27 લાખથી વધુ ઢોડીયા, કુકણા અને વારલી સમાજના મતદારો આવ્યા છે. વલસાડ લોકસભા બેઠકમાં સૌથી વધુ મતદારો ધરાવતી વાંસદા વિધાનસભા મત વિસ્તારના મતદારોને મનાવવા કોંગ્રેસ અને ભાજપે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

તો આવો જાણીયે 26 વલસાડ-ડાંગ લોકસભા બેઠકનો ઇતિહાસ

  • વર્ષ 1957થી લઇને 1977 સુધી વલસાડ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર નાનુંભાઈ પટેલ પ્રથમ લોકસભાની ચૂંટણી જીત્યા હતા અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની હતી
  • વર્ષ 1977થી 1980. વલસાડ લોકસભા બેઠક ઉપર ઉમેદવાર નાનુંભાઈ પટેલ ચૂંટણી જીત્યા અને કેન્દ્રમાં સ્વ. મોરારજી દેસાઈની સરકાર બની હતી
  • વર્ષ 1980થી 1984 કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉત્તમભાઈ પટેલને કોંગ્રેસમાંથી વલસાડ લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી જીત્યા અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની હતી
  • વર્ષ 1984થી 1989માં વલસાડ લોકસભા.બેઠક ઉપર કોંગ્રેસના ઉત્તમભાઈ પટેલ ફરિ વલસાડથી ચૂંટણીમાં જીત મેળવી અને કેન્દ્ર માં કોંગ્રેસની સરકાર બની હતી
  • વર્ષ 1989થી 1990 દરમિયાન અર્જુનભાઈભાઈ પટેલ વલસાડ બેઠક ઉપરથી જનતા દળમાંથી લોકસભાની ચૂંટણી જીત્યા અને કેન્દ્રમાં જનતા દળની વી પી સિંહની સરકાર બની હતી
  • વર્ષ 1990થી 1991 વલસાડ બેઠક ઉપરથી ઉત્તમભાઈ પટેલ કોંગ્રેસથી ચૂંટણી જીત્યા હતા. અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની હતી
  • વર્ષ 1991થી 1996માં વલસાડ લોકસભા બેઠક ઉપર ઉતમભાઈ પટેલ ફરિ કોંગ્રેસ ટીકીટ ઉપર જીત્યા અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની
  • વર્ષ 1996થી 1997 વલસાડ બેઠક ઉપર ભાજપનાં ઉમેદવાર તરીકે પ્રથમ વખત મણીભાઈ ચૌધરી વલસાડ લોકસભા બેઠક ઉપર બહુમતી સાથે જીત મેળવી અને કેન્દ્રમાં ભાજપની સરકાર બની હતી
  • વર્ષ 1997થી 2004 વલસાડ બેઠક ઉપરથી ભાજપનાં મણીભાઈ ચૌધરી ચૂંટણી લડ્યા અને જીત્યા અને કેન્દ્રમાં ભાજપની સરકાર બની હતી
  • વર્ષ 2004થી 2014 વલસાડ લોકસભા બેઠક કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે કિસનભાઈ પટેલ પ્રથમ વખત ચૂંટણી લડ્યા અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની હતી. 2 ટર્મ કોંગ્રેસે સરકાર બનાવી
  • વર્ષ 2014 થી 2024થી વલસાડ લોકસભા બેઠક ઉપર ડો. કે સી પટેલ ભાજપમાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા અને કેન્દ્ર માં ભાજપની નરેન્દ્ર મોદીની સરકાર 2 ટર્મ જાળવી રાખી છે

આ રીતે વલસાડ લોકસભા બેઠકનો ઇતિહાસ રહ્યો છે કે, વલસાડથી જે પક્ષનો ઉમેદવાર જીતે તેની કેન્દ્રમાં સરકાર રહી છે. હિન્દી ફિલ્મનો ડાયલોગ અહીં ખરા અર્થમાં સાર્થક થાય છે. ઈતિહાસ ગવાહ હૈ, જબ જબ હમ જીતે હે સરકાર ઉસકી બની હે. 

26 વલસાડ- ડાંગની લોકસભા બેઠકનાં જાતીય સમીકરણ ઉપર તો આ બેઠક બહુલ આદિવાસીઓનું પ્રભુત્વ ધરાવતી બેઠક છે. તો આદિવાસી સમાજમાં પણ અનેક જાતિઓ આવેલ છે. જેમાં આં બેઠક ઉપર સુધી 2022 સુધીનું જાતીય સમીકરણ પર નજર કરીએ.

આ લોકસભાની બેઠક ઉપર સૌથી વધુ મતદારો 4,06,780 ધોડિયા પટેલ સમાજ નાં છે. ત્યાર બાદ કુકણા સમાજ જ્ઞાતિનાં 3,01,829 મતદારો છે. ત્યાર બાદ વારલી જ્ઞાતિનાં 2,58,980 મતદારો છે. OBC જ્ઞાતિનાં 2,17,427 મતદારો છે. જનરલ જ્ઞાતિમાંથી 2,06,060 મતદારો છે. કોળી પટેલ જ્ઞાતિનાં 1,07,960 મતદારો છે. નાયકા અને ભીલ જ્ઞાતિનાં 63,842 મતદારો છે. તેમજ 63,492 લઘુમતી મતદારો નોંધાયા છે. અને હડપતી સમાજનાં 58,022 મતદારો છે. પ્રપરાંતીય મતદારોની આં બેઠક ઉપર સંખ્યા 51,196 છે. આદિમજુથ જ્ઞાતિનાં 40,375 મતદારો છે. અને SCનાં 29,324 મતદારો છે. જયારે ઈસાઈ જ્ઞાતિમાંથી 3,944 મતદારો અહીં છે. વલસાડ ડાંગ લોકસભા બેઠકનું જાતીય સમીકરણ અને કુલ મતદારોની હાલની સંખ્યા ત્યારે આં સમગ્ર આંકડાને ધ્યાને જોતા ભાજપ અને કોંગ્રેસે જ્ઞાતિ આધારે ઉમેદવારો મેદાન ઉતાર્યા છે. ત્યારે જોવાનું એ રહ્યું, એક જ સમાજ અને એકજ જ્ઞાતિમાંથી આવતા બંને ઉમેદવારો પોતાના સમાજનાં મતદારો અને અન્ય સમાજ નાં મતદારો ને કઈ રીતે રીજવશે તેના ઉપર રાજકીય વિશ્લેષકોની મીટ મંડાઈ છે. વર્ષ 2024માં વલસાડ ડાંગ લોકસભાની બેઠકનાં કુલ 18,48,211 મતદારો નોંધાયા છે. જેમાં સ્ત્રી મતદારો 9,08,810 અને 9,39,379 પૃરુષ મતદારો છે. જયારે અન્યમાં 20 મતદારો મતદાર યાદીમાં નોંધાયા છે.

  • વલસાડ લોકસભા બેઠકમાં 9.60 લાખથી વધુ ઢોડીયા, કુકણા અને વારલી સમાજના મતદારો, પૈકી વાંસદ વિધાનસભામાં 3 જ્ઞાતિના 2.27 લાખ મતદારો નિર્ણાયક બનશે
  • આ લોકસભા બેઠક ઉપર આદિવાસી સમાજ પૈકી ઢોડીયા, કુકણા અને વારલી સમાજના મતદારો જ નિર્ણાયક બની રહે છે
  • વલસાડ લોકસભા બેઠકનો જીતેલા ઉમેદવારે ક્યારેય દિલ્હી માં વિપક્ષમાં નથી બેઠો, સરકાર બનાવવામાં મહત્વપૂર્ણ બેઠક છે

વલસાડના લોકોની સમસ્યા 
વલસાડ લોકસભાની બેઠકની ભૌગોલિક પરિસ્થિતિની વાત કરીયેતો વલસાડ ડાંગ બેઠકનાં આંતરિયાળ વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક, પીવાનું પાણી અને સ્થાનિક સ્તરે રોજગાર અને પ્રાથમિક શિક્ષણએ સ્થાનિક મતદારોની સમસ્યા છે. વલસાડ જિલ્લાના 70 કિલોમીટરના દરિયાઈ પટ્ટી ઉપર સાગર ખેડુઓની કિનારા ધોવાણ, સાગર ખેડુઓની ડીઝલ સબસીડી, જેટી જેવા અનેક પ્રશ્નો છે. તો વલસાડ લોકસભા બેઠક ઉપર મોટાભાગનાં મતદારો ખેતી ઉપર નભે છે. વલસાડ લોકસભા બેઠકના ખેડૂત મતદારોની મહત્વની ખેતી ડાંગર, શેરડી અને આંબાવાડી જેવા ખેતીના પાક ઉપર નભે છે. ખેડૂતોને છેલ્લા 10 વર્ષમાં કુદરતી આફતમાં થયેલ નુકસાનનું વળતરનો મુદ્દો પણ આ ચૂંટણીમાં અસરકારક બની શકે છે. જ્યારે આંતરિયાળ વિસ્તારમા ST બસની સેવાઓ ઓછી મળતી હોવાથી સ્થાનિક મતદારો ખાનગી ટ્રાન્સપોર્ટેશન ઉપર આધાર રાખવો પડે છે. અંતરિયાળ વિસ્તારોમાં એસટી બસ સહીતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. તો બીજી તરફ વલસાડ જિલ્લામાં આવેલી એશિયાની સૌથી મોટી GIDCમાં પોલ્યુશનને લઇ બદનામ છે. અહીં લોકો GIDC નાં પોલ્યુશનથી પણ પરેશાન છે. 

વલસાડ લોકસભા સામાન્ય ચૂંટણીમાં જંગ લડી રહેલા કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વિશે વધુ જાણીએ

કોંગ્રેસ પક્ષએ આદિવાસી સમાજનાં યુવા ચહેરો અનંત પટેલને ટિકિટ આપી પ્રથમ વખતે લોસભાની ચૂંટણીમાં ઉતાર્યા છે. અનંત પટેલ વલસાડ લોકસભાની વાંસદા વિધાનસભા બેઠકના રનિંગ ધારાસભ્ય છે. અનંત પટેલે છેલ્લા 3 વર્ષમાં પાર તાપી નર્મદા રિવરલિંગ પ્રોજેક્ટ, ભારત માલા પ્રોજેક્ટ, નેશનલ હાઇવે 56માં જમીન સંપાદન પ્રોજેક્ટ તેમજ આંગણવાડી બહેનોની સમસ્યા તેમજ શિક્ષણ જેવા અનેક મહત્વના મુદ્દા ઉપર સરકાર પાસે વિસ્તારના આદિવાસી સમાજનો અવાજ બનીને ન્યાયની લડત ચલાવી છે. જેથી કરીને અનંત પટેલ આદિવાસી સમાજનો સૌથી પ્રચલિત અને યુવા ચહેરો બની ગયો છે. સાથે તે ચૂંટણી પ્રચારમાં પણ લોકોની સમશસ્યાને સમજેછે તેવા દાવા સાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. જેના કારણે વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર આદિવાસી સમાજના લોકો અનંત પટેલ એક આગવી ઓળખ ધરાવે છે. જેના કારણે અનંત પટેલ તેમજ તેના સમર્થકો અને કોંગ્રેસે પાર્ટીએ આં વખતની 2024ની લોકસભાની ચૂંટણી કોંગ્રેસ જીતશે અને કેન્દ્ર માં સરકાર બનાવશે એવુ આહવાન કર્યું છે. વલસાડ લોકસભા બેઠક ઉપર છેલ્લા 10 વર્ષથી ભાજપના ડો. કે સી પટેલે વિસ્તારનું કેન્દ્રમાં નેતૃત્વ કર્યું છે. ભાજપે આ બેઠક ઉપર મૂળ વાંસદાના ઝરી ગામના શિક્ષિત અને ભાજપ નેશનલ ટ્રાઇબલ સોશ્યલ મીડિયા શેલ નાં હેડ તરીકે કાર્યભાર સભાંડતા એવા ધવલ પટેલને પ્રથમ વખત લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. ધવલ પટેલ છેલ્લા દસ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અનેક વિકાસની યોજનાઓનો લાભ મેળવી રહેલા મતદારોને તેમના ઉપર વિશ્વસ રાખવા માનવશે. અત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૂત્ર છે કે હવે વિકસિત ભારત બનશે તેને ધ્યાને જોતા વલસાડ ભાજપના ઉમેદવાર ધવલ પટેલે પણ વલસાડ લોકસભા બેઠકના તમામ વિસ્તારને વધુ વિકસિત કરવાનું બીડું ઝડપ્યું છે. વલસાડ લોકસભા બેઠકના મતદારોની તમામ સમસ્યાઓ જાણી ચૂંટણી પ્રચાર કરી વલસાડ ડાંગ લોકસભા બેઠક જીતીને તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવા આહવાન કર્યું છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું તે વલસાડ ડાંગ બેઠકના મતદારો કોના તરફથી મતદાન કરશે તેના ઉપર સૌની મીટ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news