ગુજરાતમાં રોજ 800 જેટલા લોકો ઢળી પડે છે, ગરમીથી થઈ રહેલી આ સમસ્યાથી ચેતી જજો, નહિ તો

Heatwave Alert In Gujarat : ગુજરાતમાં ગરમીનો પારો ઉપર જતા લોકોની તબિયત લથડી, રોજના લૂ લાગવાથી ઢળી પડવાના 800 કેસ આવી રહ્યાં છે, ઈમરજન્સી કેસોમાં થયો વધારો 
 

ગુજરાતમાં રોજ 800 જેટલા લોકો ઢળી પડે છે, ગરમીથી થઈ રહેલી આ સમસ્યાથી ચેતી જજો, નહિ તો

Gujarat Weather Forecast : ગુજરાતમાં ગરમી તમામ રેકોર્ડ તોડી રહી છે. એક સમયે માત્ર મે અને જુન મહિનામાં ગરમી અનુભવાતી હતી. હવે માર્ચ મહિનાથી જ આકરી ગરમી પડવાની શરૂ થઈ રહી છે. તેમજ હવે આ ગરમી લોકોના સ્વાસ્થય પર પણ અસર કરી રહી છે. લૂ લાગવાથી અનેક લોકોની તબિયત બગડી રહી છે. અપડેટ અનુસાર, ગુજરાતમાં ગરમીને કારણે લૂ લાગવાથી ચક્કર આવવાના રોજના 800 કેસ આવી રહ્યાં છે. તેથી આરોગ્ય વિભાગ પણ લોકોને પુષ્કળ પાણી પીવાની સલાહ આપી રહ્યું છે. 

ગરમી વધવાની સાથે ગુજરાતમાં બેભાન થઈ જવાના કેસોમાં એકાએક વધારો થઈ રહ્યો છે. આ સિવાય ગરમીને લગતી અન્ય બીમારીઓ જેમ કે, ઝાડા ઉલટી, પેટમાં દુખાવો જેવા કેસ પણ આવી રહ્યાં છે. રાજ્યમાં રોજના 800 લોકો ગરમીને કારણે બેભાન થઈને ઢળી પડે છે. આવા લોકોને ઈમરજન્સીમાં લઈ જતા 108 ની સેવામાં કોલનો વધારો થયો છે. 

રાજ્ય સરકારે હીટવેટ સામે એલર્ટ જાહેર કર્યું છે. આ માટે એક એક્શન પ્લાન તૈયાર કરાયો છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. ગરમીથી રાહત મેળવવા શું શું કરવું તેની માહિતી આ ગાઈડલાઈનમાં આપવામા આવી છે. 

લૂ થી બચવા આટલું કરો:

  • રેડિયો સાંભળો, ટી.વી. જૂઓ, હવામાન અંગેના સ્થાનિક સમાચાર માટે વર્તમાન પત્ર વાંચો અથવા હવામાન વિશેની માહિતી આપતી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાંથી માહિતી મેળવો. તરસ ના લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવું. 
  • વાઈ, હૃદય, કીડની કે યકૃત સંબંધી બીમારીથી પીડાતા વ્યક્તિઓ કે જેમને પ્રવાહીની માત્રા ઓછી લેવાની હોય તેમણે તેમજ જેમના શરીરમાંથી પ્રવાહીનો નિકાલ ઓછો થતો હોય તેમણે પ્રવાહી લેતા પહેલા ડોકટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.
  • શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ORS દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નારિયેળ પાણી વગેરેનો ઊપયોગ કરવો.
  • વજન તેમજ રંગમાં હળવા પ્રકારના સુતરાઉ વસ્ત્રો પહેરવા. જો તમે ઘર ની બહાર હોવ તો માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો.
  • આંખોના રક્ષણ માટે સન-ગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવી પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો.
  • લૂ લાગવાની સૌથી વધુ સંભાવના છે તેવા બાળક, સગર્ભા, વૃદ્ધ, બિમાર વ્યક્તિ અને વધુ વજન ધરાવતા વ્યક્તિની વિશેષ કાળજી લેવી.

ગાંધીનગરની કેમિકલ કંપનીમાં ભયાનક આગ, બેરલમાં રહેલા કેમિકલ બોમ્બની જેમ ફૂટ્યા

કામદાર અને નોકરીદાતાઓએ આટલું ધ્યાન રાખવું:
કાર્યના સ્થળે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરવી. તમામ કામદાર માટે આરામની વ્યવસ્થા, શુધ્ધ પાણી, છાશ, ORS, પ્રાથમિક સારવાર પેટીની વ્યવસ્થા કરવી. કાર્ય કરતી વખતે સીધો સૂર્યપ્રકાશ આવે તેવી સ્થિતિને ટાળવી તેમજ વધુ મહેનત લાગે તેવું કામ દિવસના ઠંડા સમયે ગોઠવવું.
બહારની પ્રવૃત્તિઓ માટે વિશ્રાંતી સમય અને તેની સંખ્યા વધારવી. જે કામદાર વધુ ગરમી વાળા વિસ્તારમાં કાર્ય કરવા ટેવાયેલ નથી તેમને હળવું તેમજ ઓછી અવધી માટે કામ આપવું. સગર્ભા સ્ત્રીઓ તેમજ શારીરિક નબળઈ ધરાવતા કામદાર ઉપર વિશેષ ધ્યાન આપવું. કામદારો ને હીટ વેવ એલેર્ટ વિશે માહિતગાર કરી, શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહી, ઘરગથ્થુ ઉપાય કરવા. જેવા કે કાચી કેરી સાથે ડુંગળીનું ધાણાજીરુ નાખેલું કચુંબર લૂ લાગવાની શક્યતા ઘટાડી શકે છે. પંખાનો ઉપયોગ કરવો અને ઢીલા અને સુતરાઉ કપડાં પહેરવા.
કાર્યાલય કે રહેઠાણના સ્થળે આવતાં ફેરિયા કે ડીલીવરી માણસને પાણી પીવડાવવું. કાર પુલીંગ અથવા તો જાહેર વાહન વ્યવહારના સાધનોનો ઉપયોગ કરો, જેથી ગ્લોબલ વોર્મીંગ અને ગરમીનું પ્રમાણ ઘદડી શકાય. સૂકા પાંદડા, ખેતીનો કે અન્ય કચરો બાળવો નહીં. પાણીનાં સ્ત્રોતનું રક્ષણ કરવું અને વરસાદી પાણીના સંચયની વ્યવસ્થા કરવી. ઊર્જા કાર્યદક્ષ સાધનો, શુદ્ધ બળતણ અને ઊર્જાના વૈકલ્પીક સ્ત્રોતનો ઉપયોગ કરવો. જો ચક્કર આવતા હોય કે બીમાર હોવ તો તરત જ તબીબી સલાહ લો અથવા ઘરના કોઇપણ સદસ્યને જાણ કરો.

લૂ લાગે તો આ સારવાર કરો:
ભીના કપડાનો ઉપયોગ કરવો અથવા લૂ લાગી હોય તે વ્યક્તિના માથા પર પાણી રેડવું. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ઓ.આર.એસ અથવા લીંબુ સરબત જેવું ઠંડુ પ્રવાહી આપવું. વ્યક્તીને તાત્કાલીક નજીકના સ્વાસ્થય કેન્દ્ર ઉપર લઇ જવા. જો શરીરનું તાપમાન એકધારુ વધતું હોય, માથાનો અસહ્ય દુખાવો હોય, ચક્કર આવતા હોય, નબળાઈ હોય, ઊલ્ટી થતી હોય કે બેભાન થઈ ગયો હોય તો તાત્કાલિક એમ્બ્યુલસ બોલાવવી.

આટલું ન કરો:
બપોરના સમયે તડકામાં જવાનું ટાળવું. ના છૂટકે બપોરના સમયે બહાર જવાનું થાય તો શ્રમ પડે તેવી પ્રવૃત્તિ ન કરવી. ખુલ્લા પગે બહાર ન જવું. આવા સમયે રસોઇ ન કરો, બને તો રસોઈ વહેલા કરી લેવી. રસોડામાં હવાની અવર-જવર માટે બારી અને બારણા ખુલ્લા રાખવા. શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણા જેમ કે શરાબ, ચા-કોફી, સોફ્ટ ડ્રિક્સ લેવાનું ટાળો. પ્રોટીનની વધુ માત્રા વાળા, મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠા વાળા આહારને ત્યજો. આ ઉપરાંત પાર્ક કરેલા વાહનમાં પાળતુ પ્રાણી કે બાળકોને એકલા ન રાખો. વધારે પડતી રોશની વાળા વિજળીના બલ્બનો ઉપયોગ ટાળો અને જરૂર ના હોય તો કોમ્પ્યુટર કે બીજા ઊપકરણને બંધ રાખો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news