રામજી કી ઇચ્છા સે : ગૌસેવામાં જીવન ન્યૌછાવર કરનાર મદનમોહનદાસજી બાપાની વિદાય

Bhavnagar Golibar Hanumanji : ભાવનગર શહેરના સુપ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત અને પરમ ગૌસેવક પૂજ્ય મદનમોહનદાસજી બાપા બ્રહ્મલીન થયા છે. લાખો સેવક સમુદાય વચ્ચેથી ગઈકાલે રાત્રે 10 કલાકે મદનમોહનદાસ બાપાએ વિદાય લીધી છે. જેને કારણે ભક્તજનોમાં શોકની લાગણી પ્રસરી છે. લાંબી બીમારી બાદ 115 વર્ષની વયે ભક્તજનો વચ્ચેથી વિદાય લીધી છે. 

1/6
image

શહેરના જવાહર મેદાન કે જ્યાં 225 વર્ષ પૂર્વે લશ્કરી છાવણીનો ધમધમાટ જોવા મળતો હતો, જ્યાંથી એક હનુમાનજીની મૂર્તિ મળી આવી હતી જેની દેરી બનાવી સ્થાપના કરવામાં આવી હતી, જે દેરી સમય જતાં ગોળીબાર હનુમાનના નામે પ્રસિદ્ધ બની હતી, આ મંદિર પ્રત્યે લોકોને અનન્ય આસ્થા છે, લોકો ઘરેથી નીકળતા સવારના પહેલા ગોળીબાર હનુમાનજીના દર્શન કરી પછી કામધંધે ચડતા હોય છે, આ દેરી મંદિરમાં વર્ષો પહેલા મદનમોહન બાપુએ સેવા પૂજા શરૂ કરી હતી અને સમયાંતરે મંદિરનો વિકાસ કર્યો હતો, અને ત્યાં હનુમાનજી ઉપરાંત અન્ય દેવીદેવતાઓ ની પણ સ્થાપના કરવામાં આવી હતી, આજે મંદિર મોટા વટવૃક્ષ સમાન બની ગયું છે, અને જેનો તમામ શ્રેય માત્ર મદનમોહનદાસ બાપાને જ આપી શકાય.

2/6
image

મદનમોહનદાસ બાપુનું એક જ સૂત્ર હતું, 'રામજી કી ઈચ્છા સે.' મંદિરે બાપુ પાસે ઘણા લોકો અનેક પ્રશ્નોના નિરાકરણ માટે આવતા અને બાપુને જણાવતા પરંતુ બાપુના મુખે માત્ર એક જ શબ્દ નીકળતો 'રામજી કી ઈચ્છા સે.' આ ઉપરાંત મદનમોહનદાસ બાપાને ગાય ખૂબ જ પ્રિય હતી. આમ કહીએ તો તેમનું સમગ્ર જીવન તેમણે ગાયોની સેવા પાછળ ન્યોછાવર કરી દીધું હતું. 

 

3/6
image

એમનો એક જ મંત્ર ભૂખ્યા ને ભોજન જે માંટે મંદિર દ્વારા ખીચડી રથ ચલાવવામાં આવતો હતો. જે આખા ભાવનગરમાં ફરી ભૂખ્યાને અન્ન પ્રદાન કરતો. ગૌમાતાના પરમ સેવક એવા મદનમોહનદાસ બાપાએ લાંબી બીમારી બાદ 115 વર્ષની વયે ભક્તજનો વચ્ચેથી વિદાય લીધી છે, ત્યારે તેઓના અંતિમ દર્શન માટે મંદિરના પ્રાર્થના હોલમાં વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં વહેલી સવારથી બાપાના અંતિમ દર્શન માટે લાઈનો લગાવી મદનમોહનદાસ બાપાને અશ્રુભીની વિદાય આપી હતી.

ગરીબોના બેલી હતા મદનમોહનદાસજી મહારાજ

4/6
image

મહંત મદનમોહનદાસજી બાપા છેલ્લા 60 વર્ષથી શહેરમાં જુદી જુદી જગ્યાએ રહેતા લોકોને દરરોજ સાંજે ભોજન માટે હનુમાનજી મહારાજની પ્રસાદી રૂપે અન્ન ક્ષેત્રની સેવા આપી રહ્યા હતા. આ મંદિરમાં રોજ સવારે જરૂરિયાતવાળા લોકોને છાશનું પણ વિતરણ કરવામાં આવે છે. મદનમોહનદાસજી બાપા માત્ર ગરીબોના બેલી નહિ પણ હિન્દૂ ધર્મની માતા ગાયો માટે મસીહા હતા. મદનમોહનદાસ બાપા દ્વારા ભૂકંપ હોય કે વાવાઝોડું કે અન્ય આફતોના સમયે ખાસ ભોજનની વ્યવસ્થા કરતા હતા. 

ગોળીબાર મંદિરનો ઈતિહાસ

5/6
image

ભાવનગરના ગોળીબાર હનુમાનજી મંદિરનો ઇતિહાસ અને રજવાડુ આઝાદી પહેલાનું ગોહિલવાડ રાજ્યની ભૂમિનું છે. ગોહિલવાડની ભૂમિ એટલે સઁતોની ભૂમિ તરીકે ઓળખાય છે. ગોહિલવાડના રાજ્યમાં ભાવનગર શહેર અસ્તિત્વમાં આવ્યું અને વિકાસ પામતા ગોળીબાર દાદા શહેરની વચ્ચે સ્થાપિત થઈ ગયા. રજવાડા સમયમાં શહેરની છેવાડે એક મેદાન આવેલું હતું. જેને જવાહરમેદાન તેમજ ગધેડિયા ફિલ્ડ પણ કહેવામાં આવતું હતું. જવાહર મેદાનની જગ્યા ખરેખરમાં દેશના રક્ષા મંત્રાલયની છે. આથી આર્મીના જવાનોની જગ્યા ખરેખરમાં કહેવાય છે. શહેરના વઘાવાડી રોડથી, રૂપાણી સર્કલની એકદમ ચાર ડગલાં અને ઘોઘા સર્કલથી બે મિનિટના અંતમાં ગોળીબાર દાદા બિરાજમાન છે.

6/6
image

જવાહર મેદાન એટલે ગધેડિયા ફિલ્ડની જગ્યા દેશના જવાનોની ફાયરિંગ બટ તરીકે ઓળખાતી જમીન હતી. સેનાના જવાનો ફાયરિંગની તાલીમ લેવા જવાહર મેદાનમાં આવતા હતા. અંદાજે 225 વર્ષ પહેલાં સેનાના જવાનો ફાયરિંગની તાલીમના સમયે જવાનોને અલોકિક ચમત્કાર થયો અને આકાશી તેજ પ્રસર્યું હતું. તે જ સમયે એક મૂર્તિ સેનાના જવાનોને નજરે ચડી હતી. બસ સેનાના જવાનો દ્વારા ગોળીબાર દાદાની સ્થાપના કરવામાં આવી હતી. આથી સેનાના જવાન તાલીમ લેવાતા હોવાથી ગોળીબાર નામ આપવામાં આવ્યું હતું. જૂની લોકવાયકા પ્રમાણે આજે ભાવનગરની મધ્યમાં આવેલ ગોળીબાર હનુમાનજીનું સ્થાનક છે.લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. જ્યાં શનિવાર અને રવિવાર લોકોની ભીડ જોવા મળે છે.