કોંગ્રેસને 'રામ-રામ' : મોઢવાડિયા, ડેર પણ હવે 'મોદીનો પરિવાર', 'હાથ'નો સાથે નહીં, હવે દેખાશે હાથમાં 'કમળ'

ગુજરાતમાં 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ પાર્ટીએ પોતાનું સૌથી નિરાશાજનક પ્રદર્શન કરતા માત્ર 17 સીટો જીતી હતી. પરંતુ હવે કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને 14 રહી ગઈ છે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય રાજીનામા આપી ચુક્યાં છે. એટલે કે એક બાદ એક નેતા કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યાં છે. 

કોંગ્રેસને 'રામ-રામ' : મોઢવાડિયા, ડેર પણ હવે 'મોદીનો પરિવાર', 'હાથ'નો સાથે નહીં, હવે દેખાશે હાથમાં 'કમળ'

અમદાવાદઃ રાહુલ ગાંધી 7 માર્ચે પોતાની ન્યાય યાત્રા લઈને ગુજરાત આવી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધી હજુ ગુજરાતમાં પ્રવેશે તે પહેલાં જ ગુજરાત કોંગ્રેસમાંથી એક બાદ એક એમ બે દિગ્ગજોએ કોંગ્રેસને અલવિદા કહ્યુ છે. ત્યારે કોણ છે કોંગ્રેસનો હાથ છોડનારા એ બે દિગ્ગજો, અને તેમના જવાથી કોંગ્રેસને કેટલું થશે નુકસાન, જોઈએ આ અહેવાલમાં... 

ગુજરાતમાં તૂટતી કોંગ્રેસને ફટકો 
રાહુલ ગાંધી પોતાની બીજી ન્યાય યાત્રા લઈને ગુજરાત આવી રહ્યા છે. પરંતુ તેઓ ગુજરાત આવે તે પહેલાં જ કોંગ્રેસ પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. ભારત જોડો ન્યાય યાત્રાથી રાહુલ ગાંધી દેશના લોકોને કોંગ્રેસ સાથે જોડવાના કરી રહ્યા છે, તો બીજી તરફ તેમની જ પાર્ટીના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસને એક બાદ એક અલવિદા કહી રહ્યા છે. 

જીહાં, સોમવારનો દિવસ જાણે કોંગ્રેસ માટે નિરાશા લઈને આવ્યો. કેમ કે એક જ દિવસમાં સૌરાષ્ટ્રના દિગ્ગજ ગણાતા બે નેતાઓએ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે. સવારે રાજુલા વિધાનસભના પૂર્વ ધારાસભ્ય અમરિશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું, તો સાંજે પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસને રામ રામ કરી દીધા છે.  લોકસભા ચૂંટણી જાહેર થવાને હવે ગણતરીના જ દિવસ બાકી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી માટે આ બે રાજીનામા બહુ મોટા ફટકા સમાન છે. કારણ કે અર્જૂન મોઢવાડિયા અને અમરિશ ડેર એક જાણીતા અને સક્રિય નેતાઓ છે. ત્યારે બંને તેનાઓના ભાજપમાં જવાથી કોંગ્રેસને મોટું નુકસાન અને ભાજપને ચોક્કસથી ફાયદો થવાનો છે. 

આખરે કોંગ્રેસના અર્જુને રાજકારણના પંજાને રામ રામ કહી દીધા છે. અને કોંગ્રેસ પાર્ટીમાંથી જવા માટે એક કારણ પણ રામનું આપ્યું છે. રાજીનામું આપનારા અર્જુન મોઢવાડિયાએ કહ્યુ કે રામ મંદિર મામલે કોંગ્રેસના સ્ટેન્ડને લઈને દુ:ખી થયો હતો. રામ મંદિરના વિરોધથી કોંગ્રેસમાં ગૂંગળામણ અનુભવતા અર્જુન મોઢવાડિયા સીધા જ વિધાનસભા પહોંચ્યા, તો બીજી તરફ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ પોતાનો થરાદનો કાર્યક્રમ ટૂંકાવીને ગાંધીનગર આવી ગયા. જ્યાં કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા અર્જૂન મોઢવાડિયાએ વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપીને હંમેશા માટે કોંગ્રેસને રામ રામ કહી દીધા... 

ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. એક બાદ એક કોંગ્રેસને ફટકા લાગી રહ્યા છે. ત્યારે કોંગ્રેસને રામ રામ કરતા સમયે અર્જુન મોઢવાડિયાને કોંગ્રેસના નેતાઓને એક સલાહ પણ આપી છે. જેમાં તેમણે કહ્યુ કે મારા જેવા કાર્યકરો કેમ પાર્ટી છોડી રહ્યા છે, તે અંગે કોંગ્રેસે મંથન કરવાની જરૂર છે. 

અર્જુન મોઢવાડિયાની સાથે સાથે કોંગ્રેસને બીજો પણ એક ઝટકો લાગ્યો હતો. જેમાં સાંજે અર્જૂન મોઢવાડિયા રાજીનામું આપ્યું તો સવારે રાજુલા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના દિગગજ નેતા અંબરીશ ડેરે પણ કોંગ્રેસને અલવિદા કહ્યુ છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે છેલ્લા બે વર્ષથી અમરિશ ડેરને ભાજપમાં જોડવાને લઈને સંકેત આપી રહ્યા હતા. ત્યારે સી.આર.પાટીલે અમરિશ ડેરના અમદાવાદના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લેવા પહોંચતા, રાજીનામાની વાત ચર્ચાએ જોર પકડ્યુ હતું. ત્યારે સી.આર.પાટીલ અને અમરિશ ડેરની મુલાકાત બાદ અમરિશ ડેરે ભાજપમાં આવવાની ઓફરનો સ્વીકાર કર્યો અને કોંગ્રેસને અલવિદા કહી દીધુ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news