ઉમેદવારી પર સવાલ ઉઠાવનાર નારણ કાછડિયાને ભરત સુતરિયાનો જવાબ, ખુલ્લો પત્ર લખ્યો

Naran Kachadiya Vs Bharat Sutariya : અમરેલી ભાજપમાં આંતરિક વિખવાદ યથાવત્.. ઉમેદવારી પર સવાલ ઉઠાવનાર નારણ કાછડિયાને ભરત સુતરિયાનો જવાબ.. કહ્યું, મને જેટલીવાર જવાબદારી મળી ત્યારે થેંકયુ કહ્યું.. તમે સવાલ ઉઠાવી કર્યું પાર્લામેન્ટરી બોર્ડનું અપમાન

ઉમેદવારી પર સવાલ ઉઠાવનાર નારણ કાછડિયાને ભરત સુતરિયાનો જવાબ, ખુલ્લો પત્ર લખ્યો

Loksabha Election 2024 : ભાજપમાં પડેલી આંતરિક તિરાડો હવે ધીરે ધીકે બહાર આવી રહી છે. ત્યારે અમરેલીમાં ભાજપનો આંતરીક વિખવાદ સપાટી પર આવી ગયો છે. નારણ કાછડિયાએ અમરેલીના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા પર કરેલ આક્ષેપો સામે ભરત સુતરિયાએ જવાબ આપ્યો છે. ભરત સુતરિયાએ નારણ કાછડિયાને ખુલ્લો પત્ર લખ્યો છે. ભરત સુતરિયાએ થેંક્યૂના સવાલમાં થેંક્યૂનો રસપ્રદ રીતે જવાબ આપ્યો છે. 

તાજેતરમાં નારણ કાછડિયાએ હાલમાં નિવેદન આપ્યું હતું. કાછડિયાએ ભરત સુતરિયાને ટિકિટ આપવા મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા. કાછડિયાએ કહ્યું હતું કે, જેને થેંકયુ બોલતા નથી આવડતું તેને પક્ષે ટિકિટ આપી છે. ત્યારે ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાએ સાંસદ નારણ કાછડીયાને પત્ર લખ્યો છે. નારણ કાછડીયાએ થેંક્યૂ બોલતા નથી આવડતુંના કટાક્ષ સામે ભરત સુતરીયાએ લેખિતમાં જવાબઆપ્યો છે. 

સુતરિયાએ પત્રમાં શું લખ્યું...
જ્યારે જ્યારે તમે મને ખૂબ અભિનંદન પાઠવ્યા ત્યારે ત્યારે મેં તમને થેન્ક્યુ કહેલું. જે આપને ભુલાઈ ગયેલ હોય તેવું લાગી રહ્યું છે આથી આ પત્રથી આપને યાદ કરાવવા માગું છું. જ્યારે હું લાઠી તાલુકા ભાજપ મહામંત્રી બન્યો ત્યારે મેં આપ સાહેબને થેન્ક્યુ કહ્યું હતું. વર્ષ 2021 ના વર્ષમાં જ્યારે હું લાઠી તાલુકા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ મેં આપને થેન્ક્યુ કહ્યું હતું. 2021 માં જિલ્લા પંચાયતની ટીકીટ મળી ત્યારે પણ મેં આપને થેન્ક્યુ કહ્યું હતું. 2023 ના વર્ષમાં જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ મેં આપ સાહેબને થેન્ક્યુ કહ્યું હતું. તમે મારા માર્ગદર્શક તરીકે જેટલી વાર અભિનંદન આપ્યા એટલી વાર મેં તમને થેન્ક્યુ કહ્યું છે. દેશમાં લોકસભા (સાંસદ) ની ચુંટણી હોય ત્યારે ઉમેદવાર નક્કી કરવાનું કામ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માન ગૃહ મંત્રી અમિતભાઈ શાહ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી.નડ્ડા સાહેબ અને પાર્લામેન્ટ્રી બોર્ડ કરતું હોય છે. આપ જે આક્ષેપ લગાવો છો,આ પરથી સ્વાભાવિક રીતે સ્પષ્ટ સાબિત થાય છે કે આપ પાર્લામેન્ટ્રી બોર્ડનુ પણ અપમાન કરી રહ્યા છો. માનનીય શ્રી નારણભાઈ કાછડીયા સાહેબ, આપ સારી રીતે જાણો છો આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે ? આપ સત્યથી પરિચિત જ છો,જે સત્ય હકીકત છે તે લોકો સુધી પહોંચાડશો તેવી આશા. ફરી એકવાર અને આખરી વાર ...થેન્ક્યુ, નારણભાઈ કાછડીયા સાહેબ

કાછડિયાએ ભાજપ વિરુદ્ધ શું કહ્યું..
મતદાન પૂરું થતા જ અમરેલીના નારણ કાછડીયાએ ભાજપ માટે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, કાર્યકર્તાઓને ઉભો કરતા દસ વર્ષ લાગે છે. કાર્યકર્તાઓને તોડવાની કોઈ કોશિશ ના કરે, કાર્યકર્તાની પાછળ અમે બેઠા છીએ. કોંગ્રેસ અને આપમાંથી કાર્યકરો સવારે આવે અને સાંજે હોદ્દો મળી જાય છે. બીજે દિવસે કેબિનેટના મંત્રીના પદ મળી જાય.. સંગઠનના પદ મળી જાય.. ધારાસભ્યની ટિકિટો મળી જાય.. તમે પાર્ટીમાં નિયમ પ્રમાણો લો, આપણે સરવાળો કરવાનો છે, બાદબાકી નથી કરવાની તે અમે જાણીએ છીએ. કાર્યકર્તાઓને પાર્ટીમાં લો, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના ભોગે નહીં.ભાજપના કાર્યકર્તા 35-35 વર્ષથી કામ કરતો હોય અને પાર્ટીના ઝંડા લગાવતો હોય.. નારા લગાવતો હોય.. અને તમે કાલે સવારે લઈ આવો એ સ્ટેજ પર બેસે અને સિનિયર કાર્યકર્તા સામે બેઠો હોય તે કેટલા અંશે વ્યાજબી કહેવાય?” વધુમાં તેમણે કહ્યું કે, ભાજપના કોઈ પણ કાર્યકર્તાને સાઈડલાઈન કરીને કોઈને પદ કે હોદ્દો આપવો.. જે કાલે સવારે આવ્યા હોય.. તેમના માટે તો ક્યારે સ્વીકારી ન શકીએ. વિપક્ષ પાસે કશું જ નથી છતાં આપણને હંફાવે છે. અમરેલી લોકસભા બેઠક પર દોઢ લાખ મત ઓછા પડ્યા હતા. ઉમેદવાર સિલેક્શન કરીને મતદારોનો દ્રોહ કર્યો છે. અમરેલીમાં બહુ બધા ઉમેદવાર લાયક લોકો હતા. જે ‘થેંક્યૂ’ પણ નો બોલી શકે એને ટિકિટ આપી છે. આમ, નારણ કાછડિયાએ આરોપ લગાવ્યો હતો કે ભાજપે નબળા ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસે ભાજપને હંફાવ્યા છે. તે સિવાય ભાજપમાં કોંગ્રેસ અને અન્ય પક્ષના નેતાઓને સામેલ કરવાને લઇને પણ કાછડિયાએ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભાજપમાં થયેલી વેલકમ પાર્ટીઓ મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news