EVM અંગે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, VVPAT વેરિફિકેશન અંગેની પણ તમામ અરજીઓ ફગાવી

કોર્ટના આ ચુકાદાથી ઈવીએમ દ્વારા પડેલા મતની VVPAT ની સ્લિપ સાથે 100 ટકા મેળવવાની માંગણીને ઝટકો લાગ્યો છે. આ ચુકાદો જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે સહમતિથી આપ્યો છે. 

EVM અંગે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, VVPAT વેરિફિકેશન અંગેની પણ તમામ અરજીઓ ફગાવી

સુપ્રીમ કોર્ટે VVPAT વેરિફિકેશનની માંગણી અંગેની તમામ અરજીઓ આજે ફગાવી દીધી છે. બેલેટ પેપરની માંગણી અંગેની અરજી પણ ફગાવવામાં આવી છે. કોર્ટના આ ચુકાદાથી ઈવીએમ દ્વારા પડેલા મતની VVPAT ની સ્લિપ સાથે 100 ટકા મેળવવાની માંગણીને ઝટકો લાગ્યો છે. આ ચુકાદો જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે સહમતિથી આપ્યો છે. 

શું છે ચુકાદામાં
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કરી દીધુ છે કે મતદાન ઈવીએમ મશીનથી જ થશે. ઈવીએમ-VVPAT નું 200 ટકા મેચ કરવામાં આવશે નહીં. 45 દિવસ સુધી VVPAT ની સ્લિપ્સ સુરક્ષિત રહેશે. એટલે કે 45 દિવસ સુધી ડેટા સુરક્ષિત રહેશે. આ સ્લિપ્સ ઉમેદવારોના હસ્તાક્ષર સાથે સુરક્ષિત રહેશે. કોર્ટનો નિર્દેશ છે કે ચૂંટણી બાદ સિંબલ લોડિંગ યુનિટ્સને પણ સીલ કરવામાં આવે. એ પણ નિર્દેશ અપાયો છે કે ઉમેદવારો પાસે પરિણામોની જાહેરાત બાદ ટેક્નિક્લ ટીમ દ્વારા ઈવીએમના માઈક્રો કન્ટ્રોલર પ્રોગ્રામની તપાસ કરાવવાનો વિકલ્પ રહેશે જેને ચૂંટણી જાહેરાતના સાત દિવસની અંદર કરી શકાશે. 

આ ચુકાદો આપતા જસ્ટિસ ખન્નાએ  કહ્યું કે વીવીપેટ  વેરિફિકેશનનો ખર્ચો ઉમેદવારોએ પોતે જ ઉઠાવવો પડશે. જો કોઈ સ્થિતિમાં ઈવીએમ સાથે છેડછાડ થઈ કે ઈવીએમને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચ્યું તો તેનો દંડ પણ ભરવો પડશે. આ દરમિયાન જસ્ટિસ દીપાંકર દત્તાએ કહ્યું કે કોઈ સિસ્ટમ પર આંખ મીંચીને અવિશ્વાસ કરવાથી શંકા જ પેદા થાય છે. લોકતંત્રનો અર્થ જ વિશ્વાસ અને સૌહાર્દ બનાવવાનો છે. 

અત્રે જણાવવાનું કે માર્ચ 2023માં એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ 100 ટકા ઈવીએમ મતો અને વીવીપેટની સ્લિપ્સને મેચ કરવાની માંગણીને લઈને અરજી દાખલ કરી હતી. જેના પર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે ચુકાદો આપ્યો. હાલના સમયમાં વીવીપેટ વેરિફિકેશન હેઠળ લોકસભાક્ષેત્રની દરેક વિધાનસભા ક્ષેત્રના ફક્ત પાંચ મતદાન કેન્દ્રોના ઈવીએમ મતો અને વીવીપેટ સ્લિપ્સને મેચ કરાય છે. 

— ANI (@ANI) April 26, 2024

શું છે આ VVPAT 
ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) અને ઈલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (ECIL) એ 2013માં VVPAT એટલે કે વોટર વેરિફાએબલ પેપર ઓડિટ ટ્રેલ મશીનો ડિઝાઈન કરી હતી. આ બંને એ જ સરકારી કંપનીઓ છે જે EVM એટલે કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો બનાવે છે. VVPAT મશીનોનો સૌથી પહેલો ઉપયોગ 2013ની નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી દરમિયાન થયો હતો. ત્યારબાદ 2014ની લોકસભા ચૂંટણીમાં કેટલીક સીટો પર આ મશીનો લગાવવામાં આવી હતી. ત્યારબાદ 2017ની ગોવા વિધાનસભા ચૂંટણીમાં પણ તેનો ઉપયોગ થયો હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં પહેલીવાર VVPAT મશીનોનો ઉપયોગ આખા દેશમાં થયો હતો. તે ચૂંટણીમાં 17.3 લાખથી વધુ VVPAT મશીનોનો ઉપયોગ થયો હતો. 

કેવી રીતે કરે છે  કામ
મતદાનની પ્રક્રિયામાં પાદર્શકતા લાવવા માટે VVPAT ને લાવવામાં આવ્યું હતું. આ મશીન ઈવીએમ સાથે કનેક્ટેડ રહે છે. જેવો મતદાર મત નાખે છે ત્યારે જ એક સ્લિપ નીકળે છે. આ સ્લિપમાં તે ઉમેદવારનું નામ અને ચૂંટણી ચિન્હ હોય છે જેને તેણે મત આપ્યો હોય છે. 

VVPAT ની સ્ક્રીન પર આ સ્લિપ 7 સેકન્ડ જોવા મળે છે. આવું એટલા માટે કારણ કે મતદાર જોઈ શકે કે તેણે યોગ્ય ઉમેદવારને મત આપ્યો છે કે નહીં. 7 સેકન્ડ બાદ આ સ્લિપ VVPAT ના ડ્રોપ બોક્સમાં પડી જાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news