ભાજપના MLA અને દબંગ નેતા આજે અપક્ષ ઉમેદવારી નોંધાવશે, કહ્યું; 'હનુમાનજીની ગદા ફરશે અને મધુ શ્રીવાસ્તવ જીતશે'

Gujarat Election 2022: આજે સવારે જ્યારે ફોર્મ ભરવા જતા મધુ શ્રીવાસ્તવે ZEE 24 કલાક સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કાર્યકર્તાઓની ઈચ્છા મુજબ આજે અપક્ષ ઉમેદવારી કરીશ.

ભાજપના MLA અને દબંગ નેતા આજે અપક્ષ ઉમેદવારી નોંધાવશે, કહ્યું; 'હનુમાનજીની ગદા ફરશે અને મધુ શ્રીવાસ્તવ જીતશે'

Gujarat Election 2022, રવિ અગ્રવાલ/વડોદરા: ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. પ્રથમ તબક્કાના મતદાન માટે તો દરેક ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી છે. તો કેટલીક જગ્યાએ ટિકિટ ન મળવા પાર્ટીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે વડોદરામાં ભારતીય જનતા પાર્ટીએ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપી હતી. મધુ શ્રીવાસ્તવે ભાજપ સામે બળવો કરી દીધો છે. 

વાઘોડિયાના ભાજપના MLA અને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ આજે અપક્ષથી ઉમેદવારી નોંધાવશે. વાઘોડિયા બેઠકથી મધુ શ્રીવાસ્તવ અપક્ષથી ફોર્મ ભરશે. આજે સવારે તેઓ ઘરેથી નીકળ્યા ત્યારે રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન કર્યું છે. ધીરજ ચોકડીથી મામલતદાર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, ગઈકાલે (બુધવારે) ભાજપથી નારાજ મધુ શ્રીવાસ્તવને મનાવવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખે મુલાકાત કરી હતી. પરંતુ આ બેઠકમાં કોઈ નિષ્કર્ષ નીકળ્યો નહોતો. વડોદરામાં મધુ શ્રીવાસ્તવને મનાવવામાં મોવડી મંડળ નિષ્ફળ રહ્યું છે.  

આજે સવારે જ્યારે ફોર્મ ભરવા જતા મધુ શ્રીવાસ્તવે ZEE 24 કલાક સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કાર્યકર્તાઓની ઈચ્છા મુજબ આજે અપક્ષ ઉમેદવારી કરીશ. જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી વાઘોડિયાની જનતાની સેવા કરીશ. વાઘોડિયાની જનતાને છેલ્લી વખત જીતાડવા મધુ શ્રીવાસ્તવે અપીલ કરી હતી. ત્યારબાદ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હનુમાનજીની ગદા ફરશે અને મધુ શ્રીવાસ્તવ જીતશે.  ફોર્મ ભરતા પહેલા મધુ શ્રીવાસ્તવ હનુમાન મંદિરે દર્શન કરવા પહોંચ્યા છે. અહીંથી તેઓ રેલી કરીને વિજય મૂહર્તમાં ફોર્મ ભરશે.

હવે અપક્ષ લડશે મધુ શ્રીવાસ્તવ
મધુ શ્રીવાસ્તવને આ વખતે ભાજપે વાઘોડિયા બેઠક પરથી ટિકિટ આપી નથી. પરંતુ છ વખતથી ધારાસભ્ય રહેલા શ્રીવાસ્તવે પાર્ટી સામે બળવો કરી દીધો છે. હવે મધુ શ્રીવાસ્તવ અપક્ષ તરીકે ચૂંટણી લડવાના છે. આ સાથે દિનેશ પટેલ પણ અપક્ષ તરીકે મેદાનમાં ઉતરશે. એટલે કહી શકાય કે ભાજપ આ બંને નેતાઓને મનાવી શક્યું નથી. 

પાટિલ સાથે કરી બેઠક
મધુ શ્રીવાસ્તવને મનાવવા માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ તેમની સાથે વડોદરા એરપોર્ટ પર બેઠક કરી હતી. નારાજ મધુ શ્રીવાસ્તવને મનાવવા માટે પાટીલે તેમને એરપોર્ટ બોલાવ્યા હતા. બંને વચ્ચે એક કલાકથી વધુ સમય બેઠક ચાલી હતી. પરંતુ પાટીલનો આ પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો છે. 

બેઠક બાદ આપ્યું નિવેદન
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ સાથે બેઠક બાદ મધુ શ્રીવાસ્તવે પોતાના તેવર જાળવી રાખ્યા છે. તેમણે કહ્યું કે સતીષ નિશાળિયા ભલે માન્યા, પરંતુ હું મધુ શ્રીવાસ્તવ છું. તેમણે કહ્યું કે, હું અપક્ષ ચૂંટણી લડવાનો છું અને આવતીકાલે ફોર્મ ભરીશ. નોંધનીય છે કે વડોદરામાં ટિકિટની જાહેરાત બાદ ભાજપના ત્રણ નેતાઓ નારાજ થઈ ગયા હતા. જેમાંથી માત્ર સતીષ નિશાળિયા માની ગયા છે. 

મધુ શ્રીવાસ્તવને મનાવવામાં ભાજપ નિષ્ફળ
છ વખત ધારાસભ્ય રહેલા અને વડોદરાના બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી નથી. ભાજપની યાદી જાહેર થવાની સાથે મધુ શ્રીવાસ્તવે બળવો શરૂ કરી દીધો હતો. તેમને મનાવવાના અનેક પ્રયાસો થયાં પરંતુ પાર્ટીને સફળતા મળી નહીં. મધુ શ્રીવાસ્તવ અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી ચુક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news