Surat News: સુરતમાં કરોડો રૂપિયાની સરકારી જમીન કોના ઈશારે બારોબાર બિલ્ડરોને પધરાવી દીધી? મોટા કૌભાંડનો ઘટસ્ફોટ

Surat Land scam : સુરતમાં મોટું જમીન કૌભાંડ બહાર આવતા જ ખળભળાટ મચી ગયો છે. જેમાં કરોડોની સરકારી જમીન બિલ્ડરોને પધરાવી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ સુરતના ડુમ્મસ વિસ્તારમાં આશરે 2,17,216 ચોરસ મીટરની 2000 કરોડ રૂપિયાની બજાર કિંમત ધરાવતી સરકારી જમીન ખાનગી માલિકોને પધરાવી દેવાઈ હોવાની વિગતો બહાર આવી છે.

Surat News: સુરતમાં કરોડો રૂપિયાની સરકારી જમીન કોના ઈશારે બારોબાર બિલ્ડરોને પધરાવી દીધી? મોટા કૌભાંડનો ઘટસ્ફોટ

Surat Land scam : સુરતમાં મોટું જમીન કૌભાંડ બહાર આવતા જ ખળભળાટ મચી ગયો છે. જેમાં કરોડોની સરકારી જમીન બિલ્ડરોને પધરાવી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ સુરતના ડુમ્મસ વિસ્તારમાં આશરે 2,17,216 ચોરસ મીટરની 2000 કરોડ રૂપિયાની બજાર કિંમત ધરાવતી સરકારી જમીન ખાનગી માલિકોને પધરાવી દેવાઈ હોવાની વિગતો બહાર આવી છે. આ સમગ્ર ઘટનામાં કલેક્ટર આયુ ઓકનું પણ નામ ઉછળ્યું છે. જોકે, આ મામલો તપાસનો વિષય છે. 

લોકસભા ચૂંટણીના પગલે મોટા પાયે બદલીઓ થઈ છે. જેમાં કલેક્ટર આયુષ ઓકની પણ બદલી વલસાડ થઈ છે. જો કે તેમની બદલી થઈ તે પહેલાં જ તેમણે અનેક વિવાદાસ્પદ ઓર્ડરો પર સહી કરી નાખી હોવાના આક્ષેપો છે. જેમાં સરકારી જમીનો બિલ્ડરોને આપવાના કૌભાંડનો ખુલાસો થયો છે. હવે આ મામલે સરકાર કેવાં પગલાં ભરે છે એની તરફ સૌની નજર છે. 

સરકારી જમીન ચોપડે ખાનગી માલિકોની
જે વિગતો સામે આવી છે તે મુજબ ડુમસ ગામના સરવે નંબર 311/3વાળી 2,17,216 ચોરસ મીટર જગ્યા સરકારી શીર પડતર તરીકે 1948-49 ના વર્ષથી હતી. સરકારી જમીન હોવા છતાં તેમાં કબજેદાર તરીકે કૃષ્ણમુખલાલ ભગવાનદાસનું નામ ગણોતિયા તરીકે નોંધ નંબર 582 અંતર્ગત દાખલ કરવામાં આવેલું હતું. અત્રે જણાવવાનું કે સરકારી જમીનમાં ગણોતિયા તરીકે નામ દાખલ થઈ શકે નહીં પરંતુ આમ છતાં ખોટી રીતે નામ જોવા મળ્યું.

એટલું જ નહીં ત્યારબાદ સરકારી શીરે પડતર લખેલી જગ્યા ઉપર પણ લીટી દોરીને ડેરી કંપનીના મેનેજર વી.સી.જાદવનું નામ દાખલ કરાયું હતું. તમને જણાવી દઈએ કે આ પ્રકારે કોઈ પણ ફેરફાર કરવાની સત્તા ફક્ત રેવન્યૂ અધિકારી પાસે હોય છે અને એવો નિયમ પણ છે કે નામ એડ કરતા પહેલાં શોકોઝ નોટિસ આપવી પડે છે. પણ આવું કશું જ આ મામલે જોવા મળ્યું નથી. 

આયુષ ઓકની શું ભૂમિકા?
આયુષ ઓક સુરતના કલેક્ટર હતા. પરંતુ લોકસભા ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા એક જ જગ્યા પર ત્રણ વર્ષથી ફરજ બજાવતા હોય  તેવા આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની બદલી કરી નાખવામાં આવી હતી. જેના પગલે સુરતના કલેક્ટર આયુષ ઓકની વલસાડ બદલીનો આદેશ 30મી જાન્યુઆરીએ આવ્યો હતો. નવાઈની વાત એ છે કે આ જમીન સંલગ્ન બાબતોની મંજૂરી પણ તેમણે બદલીના એક દિવસ પહેલાં જ આપી હોવાથી વિવાદ થયો છે. જો કે આ સમગ્ર મામલે ભારે વિવાદ  થતા ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે સૂઓમોટો લઈને મનાઈ હુકમનો આદેશ આપ્યો હતો. 

વિગતોની અવગણના
આ જમીનનું સમયાંતરે અન્ય પાર્ટીઓને વેચાણ થયા પછી જગ્યાને NA કરવા માટેની ફાઈલ પણ જે તે કલેક્ટર સામે રજૂ કરાઈ હતી. તે વખતે તપાસમાં એવી વિગતો સામે આવી હતી કે આ સરકારી જમીન હોવાથી તેને NA કરી શકાય નહીં. જેની સામે માર્ચ 2009માં ગુજરાત હાઈકોર્ટમાં રિટ પિટીશન પણ થઈ હતી. હાઈકોર્ટે કેસ ગણોતધારા હેઠળ જે જગ્યાની ફાળવણી થઈ છે તે ખેડૂત ખાતેદાર છે  કે નહીં તેની તપાસનો આદેશ કર્યો હતો.

સિટી પ્રાંતે જૂન 2015માં રિપોર્ટ પણ આપ્યો

તપાસ દરમિયાન બધી વિગતો સામે આવી કે આ તો સરકારી જમીન છે અને બારોબાર સગેવગે કરવાનો કારસો રચાયો છે. આ સમગ્ર મુદ્દે સિટી પ્રાંતે જૂન 2015માં રિપોર્ટ પણ આપ્યો. પરંતુ આ તમામ વિગતો ધ્યાનમાં લીધા વગર જ તત્કાલિન સુરત કલેક્ટર આયુષ ઓકે 29 જાન્યુઆરી 2024 એટલે કે તેમની બદલીના એક દિવસ પહેલા જ કબજેદારે વેચાણ કરેલાઓની તરફેણમાં પોતાનો ચુકાદો આપ્યો હોવાની ચર્ચાઓ છે. 

આ કેસમાં મસમોટા માથાઓ સંડોવાયેલા છે

રાજ્ય સરકારને આ મામલે ફરિયાદ આવતા મહેસૂલ વિભાગની ટીમ મોકલીને જરૂરી દસ્તાવેજો મેળવ્યા અને તત્કાલિન કલેક્ટર દ્વારા જે ઓર્ડર પાસ કરાયો તેના પર સ્ટે આપી દીધો. હવે આ મામલે વધુ વિગતો 23મી મેના રોજ સામે આવશે કારણ કે ત્યારે આ કેસની સુનાવણી છે. હવે આ પ્રકરણમાં આગામી દિવસોમાં મોટા ખૂલાસા થાય તેવી પૂરી સંભાવના છે. આ કેસમાં મસમોટા માથાઓ સંડોવાયેલા છે. જેથી આગામી દિવસોમાં આ જમીન પ્રકરણમાં કંઈક નવાજૂની બહાર આવે તો પણ નવાઈ નહીં....

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news