મતદાન માટે મતદારોએ કઈ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન? જાણો કેટલીક મહત્વપૂર્ણ બાબતો

Loksabha Election 2024: મતદારોએ મતદાન કરવા જતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ વિશે જણાવતાં મુખ્ય નિર્વાચન અધિકારી એ કહ્યું હતું કે તમામ મતદારોએ વોટર સર્વિસ પોર્ટલ અથવા વોટર હેલ્પલાઈન ઍપનો ઉપયોગ કરીને પોતાનું નામ અને મતદાન મથકની વિગતો ચેક કરી લેવી જોઈએ. મતદારે નીચેની બાબતો મતદાન કરવા જાય ત્યારે ખાસ ધ્યાને લેવી.

મતદાન માટે મતદારોએ કઈ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન? જાણો કેટલીક મહત્વપૂર્ણ બાબતો

Loksabha Election 2024: ગુજરાતની લોકસભાની સુરત સિવાયની 25 બેઠકો તેમજ વિધાનસભા પેટાચૂંટણી માટેની 5 બેઠકો પર 7 મે ના રોજ મતદાન યોજાનાર છે. લોકોને મતદાન માટે જાગૃત કરવા મુખ્ય નિર્વાચન અધિકારીના કાર્યાલય દ્વારા 15 દિવસ માટે સઘન મતદાર જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે આવતીકાલે તા.05 મે ના રોજ સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા ‘Run for Vote’ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મતદાર જાગૃતિના બેનર્સ સાથે લોકોને અચૂક મતદાન કરવા માટેનો સંદેશો આપવામાં આવશે. મતદાનની પ્રક્રિયા સુગમ બની રહે અને વ્યવસ્થિત મતદાન યોજાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા ઝીણવટપૂર્વક તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. 

મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ આ અંગે જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રોનિક વૉટિંગ મશીન અને વીવીપેટના કમિશનિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. વૉટર ઇન્ફોર્મેશન સ્લીપના વિતરણની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. પ્રત્યેક મતદાર માટે સમગ્ર મતદાન પ્રક્રિયા યાદગાર અને સુખદ અનુભવ બની રહે તે માટે રાજ્યનું ચૂંટણીતંત્ર પ્રતિબદ્ધ છે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ ગાંધીનગરના ઉદ્યોગ ભવનથી મહાત્મા મંદિર સુધી યોજાનારી Run માં ભાગ લેશે. તેમણે તમામ મતદારોને પોત પોતાના જિલ્લામાં આયોજીત ‘Run for Vote’ માં ભાગ લઈ મતદાન જાગૃતિ અભિયાનમાં સહયોગી બનવા આમંત્રણ પાઠવ્યું હતું.

મતદાન માટે મતદારોએ ધ્યાનમાં રાખવાની બાબતો
મતદારોએ મતદાન કરવા જતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ વિશે જણાવતાં મુખ્ય નિર્વાચન અધિકારી એ કહ્યું હતું કે, તમામ મતદારોએ વોટર સર્વિસ પોર્ટલ અથવા વોટર હેલ્પલાઈન ઍપનો ઉપયોગ કરીને પોતાનું નામ અને મતદાન મથકની વિગતો ચેક કરી લેવી જોઈએ. મતદારે નીચેની બાબતો મતદાન કરવા જાય ત્યારે ખાસ ધ્યાને લેવી.
1. જો મતદાર યાદીમાં નામ નોંધાયેલ હોય તો EPIC કાર્ડ અથવા e-EPIC ની પ્રિન્ટ દ્વારા મતદાન કરી શકાશે. જો તે પણ પ્રાપ્ય ન હોય તો અન્ય વૈકલ્પિક 12 પૈકીના કોઈ પણ પુરાવાથી મતદાન કરી શકાશે. 
2. મતદાનનો સમય, સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે. 
3. મતદાનના દિવસે, મતદાન માટે સવેતન રજા મળે છે. જો ન મળે તો 1950 પર ફરીયાદ કરી શકાય છે.
4. મતદાન મથકે મોબાઈલ લઈ જઈ શકાશે નહીં, 
5. Voter Information Slip કે જે BLO દ્વારા આપવામાં આવે છે તે માત્ર જાણકારી માટે છે. તે મતદાન માટેનો માન્ય પુરાવો નથી.  
6. મતદાનના દિવસે હિટ વેવથી બચવા માટે કાળજી રાખવા સહિતની બાબતોનો સમાવેશ કરવામાં આવશે.

એબ્સન્ટી વોટર્સ કેટેગરી
Absentee voters Category માં 85 વર્ષથી વધુ વય ધરાવતા કુલ 12,892 વરિષ્ઠ મતદારો તથા 3,038 દિવ્યાંગ મતદારોએ મતદાન કર્યું હતું.

પોસ્ટલ બેલેટ
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અને વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે સમગ્ર રાજ્યમાં મતદાન ફેસિલીટેશન સેન્ટર ઉપર વોટર ઓન ઈલેકશન ડ્યુટીના કર્મચારીઓ દ્વારા કુલ 2,23,052 પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું છે.

ઇન્ટરનેશનલ ઇલેક્શન વિઝિટર્સ પ્રોગ્રામ
ઇન્ટરનેશનલ ઇલેક્શન વિઝિટર્સ પ્રોગ્રામ (IEVP) એ અન્ય દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓ (EMBs) સાથે આંતરરાષ્ટ્રીય સહકાર અને જોડાણ માટે ભારતના ચૂંટણી પંચનો ફ્લેગશીપ કાર્યક્રમ છે. IEVP નો હેતુ અન્ય ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓ/આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને આપણી  ચૂંટણી પ્રક્રિયાથી પરિચિત કરવાનો છે અને ભારતીય ચૂંટણીઓમાં મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણીઓને પ્રોત્સાહન આપવા માટે શ્રેષ્ઠ પ્રક્રિયાઓ  અને ICT નો ઉપયોગ શેર કરવાનો છે.

આ સંદર્ભે ઓસ્ટ્રેલિયા, ફિજી, કિર્ગીઝ રિપબ્લિક, મડાગાસ્કર, રશિયાના ડેલિગેશન  05.05.2024 થી 08.05.2024 દરમિયાન ગુજરાત રાજ્યની મુલાકાત લેનાર છે. આ ડેલિગેશન મોક પોલ અને વાસ્તવિક મતદાન જોવા માટે મતદાન કર્મચારીઓના રવાનગી કેન્દ્ર અને વિવિધ મતદાન મથકોની મુલાકાત લેશે અને મતદારો સાથે સંક્ષિપ્ત વાર્તાલાપ કરશે. (તેમણે કોને મત આપ્યો છે તે વિશે પૂછપરછ કર્યા વિના)

ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ
ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઈંગ સ્કવોર્ડ્સ તથા 1,203 સ્ટેટીક સર્વેલન્સ ટીમ્સ દ્વારા અત્યાર સુધીમાં રૂ. 8.12 કરોડ રોકડ, રૂ. 17.36 કરોડની કિંમતનો 5.75 લાખ લીટર જેટલો દારૂ, રૂ. 118.72 કરોડની કિંમતનું 212.62 કિલો સોનું અને ચાંદી, રૂ. 703.47 કરોડની કિંમતના 862.10 કિલો પ્રતિબંધિત નશાકારક પદાર્થો તથા મોટરકાર, મોટર સાઈકલ, સીગારેટ, લાઈટર અને અખાદ્ય ગોળ સહિતની રૂ. 80.97 કરોડની અન્ય વસ્તુઓ મળી કુલ રૂ. 928.65 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. 

ફરિયાદ નિવારણ
c-VIGIL (સી-વીજીલ) મોબાઈલ ઍપ પર તા.16/03/2024 થી તા.04/05/2024 સુધી આદર્શ આચારસંહિતાના ભંગ અંગે કુલ 4,581 ફરિયાદો મળી છે. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર આ તમામ ફરિયાદોનો તાત્કાલિક યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. National Grievance Services Portal પર તા.16/03/2024 થી તા. 04/05/2024 સુધી મતદાર ઓળખપત્ર (EPIC) અંગેની 10,608, મતદાર યાદી સંબંધી 1,035, મતદાર કાપલી સંબંધી 708 તથા અન્ય 2,409 મળી કુલ 14,760 ફરિયાદો મળી છે. 

આ ઉપરાંત, મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ખાતે કાર્યરત કંટ્રોલ રૂમના હેલ્પલાઈન નંબર ઉપર તા.16/03/2024થી તા.04/05/2024 સુધીમાં કુલ 778 ફરિયાદો મળી છે, જે તમામનો પણ ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. સાથે સાથે કચેરીમાં મીડિયા મારફતે 28 તથા ટપાલ અને ઈ-મેઇલ દ્વારા રાજકીય પક્ષો મારફતે 102, ભારતના ચૂંટણી પંચ મારફતે 92 તથા અન્ય 594 મળી કુલ 816 ફરિયાદો મળી છે.

મતદાન પૂર્ણ થયા પૂર્વેના 48 કલાક
પી. ભારતીએ જણાવ્યું હતું કે, લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટાચૂંટણી માટે તારીખ 05 મે, 2024 ના સાંજના 6.00 વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહેશે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ-126 મુજબ મતદાન પૂર્ણ થવાના સમય પૂર્વેના 48 કલાકના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ છે. 

જે તે મત વિભાગના મતદાર ન હોય તેવા અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા, પક્ષના પ્રચારક વગેરે ચૂંટણી પ્રચારનો અંત આવતાં જે તે મત વિભાગ છોડીને જતા રહે તેની ચૂંટણી તંત્રએ તથા પોલીસ વહીવટી તંત્રએ ખાતરી કરવાની રહે છે. તેમજ સમગ્ર રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ માટે પૂરતા પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news