ગુજરાતની આ 7 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ, અસર કરશે જ્ઞાતિનું ગણિત

Loksabha Election 2024: આ વખતે કોંગ્રેસના મતોમાં આમ આદમી પાર્ટી ભાગલા નહીં પડાવે તેથી સ્થિતિ બદલાશે; કોંગ્રેસ અને આપની દોસ્તીથી વોટશેરમાં શું ફરક પડશે તેના પર રાજકીય પંડિતોની નજર.

ગુજરાતની આ 7 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ, અસર કરશે જ્ઞાતિનું ગણિત
  • ગુજરાતમાં આ વખતે લોકસભાની ચૂંટણીમાં કયો મુદ્દો છે સૌથી વધારે ચર્ચામાં?
  • ગુજરાતમાં કોંગ્રેસ અને 'આપ'ની દોસ્તીથી આવખતે ચૂંટણીનું ચિત્ર બદલાશે ખરાં?
  • રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, જુનાગઢ બેઠકમાં જ્ઞાતિ ગણિત અસરકાર બની શકે
  • કચ્છ અનામત બેઠક, સૌરાષ્ટ્રમાં જ્ઞાતિનું પરિબળ નેતાઓ માટે મહત્ત્વનું બની રહેશે
  • આ વખતની ચૂંટણીમાં મત મેળવવા માટે નેતાઓ જ્ઞાતિ સંમેલનોથી પ્રચાર કરે છે

Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થશે. ગણતરીના કલાકોમાં મતદાન થનાર છે ત્યારે સવાલ એ છેકે, આ વખતની ચૂંટણીમાં કયો મુદ્દો ચાલશે? તો એનો સીધો સીધો જવાબ છે રાજકારણમાં સમાજકારણ. જીહાં, ચૂંટણી નજીક આવતા રાજનેતાઓને આખરે તો સમાજની જરૂર પડી. એટલે જ વિવિધ પક્ષના નેતાઓ ધાર્મિક કાર્યક્રમોનું બહાનું કાઢીને સંતો-મહંતોને બોલાવીને સમાજની સામે મોટા ભા થવાનો અને પોતાના પક્ષમાં લોકો મતદાન કરે તેવી અપીલો કરતા નજરે પડે છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં બદલાશે ચિત્ર?
ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છની કુલ ૮ લોકસભા બેઠક માટે તા.૭ને મંગળવારે મતદાન થશે. ચૂંટણીમાં ઉમેદવારની જ્ઞાતિ નેતાઓ માટે અને ટિકીટ આપતી વખતે મોવડી મંડળ માટે મહત્વની રહી છે અને તે જાણતા અજાણતા ચોક્કસ બેઠક પર ચોક્કસ જ્ઞાતિના ઉમેદવારો મેદાનમાં ઉતારાતા રહ્યા છે ત્યારે આ વખતે ઉમેદવારના પક્ષ, ઈમેજ વગેરે સાથે જો જ્ઞાતિનું પરિબળ અસરકારક બની શકે તો તે ખાસ કરીને રાજકોટ, જામનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર એ ચાર બેઠક પર ૬ તેની સંભાવના જણાઈ છે.

કોંગ્રેસ અને 'આપ' દોસ્તીથી મતોનું ગણિત બદલાશે?
સૌરાષ્ટ્ર-કચ્છની આ ચૂંટણીની વિશેષતા એ છે કે આ વખતે કોંગ્રેસના મતમાં આમ આદમી પાર્ટી ભાગલા પડાવશે નહીં. બન્ને વચ્ચે ગઠબંધન થયું છે. જે અન્વયે એકમાત્ર ભાવનગર બેઠક ઉપર ભાજપ સામે આમ પાર્ટીના ઉમેદવાર છે અને બન્ને કોળી જ્ઞાતિના છે. બાકીની તમામ સીટ ઉપર આ વખતે ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. ઉલ્લેખનીય છે કે ગત ધારાસભા ચૂંટણીમાં રાજકોટ સંસદીય બેઠકની ૭ લોકસભા સીટ પૈકી ૪ ઉપર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંયુક્ત મતો ભાજપના કરતા વધારે હતા પરંતુ, મતોના વિભાજનથી ભાજપને તમામ બેઠકો પર જીત મળી હતી.

ચૂંટણી નજીક આવતા રાજનેતાઓને પડી સમાજની જરૂરઃ
રાજકોટ બેઠક ઉપર ભાજપના પરસોતમ રૂપાલા કડવા પાટીદાર છે જ્યારે સામે કોંગ્રેસના પરેશ ધાનાણી લેઉઆ પાટીદાર છે. જ્યારે જામનગરમાં ભાજપના ઉમેદવાર જે સતત ત્રીજી વખત ચૂંટણી લડે છે તે પુનમબેન માડમ આહિર જ્ઞાતિના અને સામે કોંગ્રેસના આ વખતે ઉમેદવાર જે.પી.મારવિયા લેઉઆ પાટીદાર સમાજના છે અને તે કારણે તેને ખોડલધામના ચેરમેને કોંગ્રેસનો આભાર માન્યો હતો. જુનાગઢમાં ભાજપના ઉમેદવાર કોળી જ્ઞાતિમાંથી છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર આહિર જ્ઞાતિના છે. સુરેન્દ્રનગર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ચુંવાળીયા કોળી જ્ઞાતિના છે અને તે મુદ્દે શરુઆતમાં તળપદાં જ્ઞાતિને અન્યાય થયાની વાત કરાઈ હતી. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તળપદા કોળી સમાજમાંથી આવે છે. 

જ્ઞાતિ સંમેલનો કરીને નેતાઓ માંગી રહ્યાં છે મતઃ
ઉલ્લેખનીય છે કે ખુદ ભાજપના પ્રચારનો કાર્યક્રમ જાહેર થતો તેમાં વિવિધ જ્ઞાતિ સમાજના સંમેલનોમાં હાજરી આપશે તેવા કાર્યક્રમો જ મુખ્ય હતા. ઉપરાંત વિવિધ સમાજોના આસ્થા કેન્દ્રોએ દર્શન કરવાનું પણ દરેક પક્ષના ઉમેદવારો ચૂંકતા નથી. પરંતુ, બીજી તરફ એ પણ હકીકત છે કે રાજકોટમાં એક સમયે મીનુ મસાણી જેવા પારસી અને ઉછરંગરાય ઢેબર જેવા નાગર બ્રાહ્મણ પણ સાંસદ તરીકે ચૂંટાયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news